आए ठहरे और रवाना हो गए, ज़िंदगी क्या है, सफ़र की बात है।
નવરાત્રિ શક્તિપૂજન માટે છે. શક્તિ એટલે એ જે સર્જન ને સંહાર બંને કરી શકે છે. જન્મ આપનાર શક્તિ એક જ હોય શકે , એટલે જ એ પૂજનીય છે. સ્ત્રી પોતે કેવી શક્તિ છે એ વાતથી એ પોતે જ અજાણ છે , બાકી શક્ય છે પુરુષપ્રધાન સમાજનું નિર્માણ થાય ને જેને જન્મ આપ્યો હોય તે જ અવહેલના કરે? એવી મંજૂરી કોણ આપે છે ? દિલ ? દિમાગ ? કે પછી સંજોગો ? જેને ભાગ્ય કહેવાય છે એવું કઈંક ? વાત માત્ર સ્ત્રીની , શક્તિની નથી. વાત છે ઈચ્છાશક્તિની પણ , સ્ત્રી હોય કે પુરુષ સૌથી મોટું પરિબળ છે અંતરમન . આજની વાત છે શ્રેયા પટેલની . શ્રેયાબેન પહોંચ્યા છે સિત્તેરની નજીક પણ જુઓ તો લાગે કે પચાસીમાં છે. એકદમ અપટુડેટ કપડાં અને એક ઘડી નવરાં ન બેસવાની ટેવને કારણે એ હજી યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરી શકે છે. મેડિકલ પ્રોબ્લેમ કોઈ નહીં , નાણાકીય સમસ્યા કોઈ નહીં, કુટુંબની લપ્પનછપ્પન જરા ય નહીં પણ છેલ્લાં થોડાં વર્ષથી કોઈક અજબ અજંપો એમને જંપવા નથી દેતો . અકારણે રડવું આવ્યા જ કરે. રાતોની રાતો આંખ મટકું ન મારે આ સિવાય બીજી કોઈ ફરિયાદ પણ નથી. શ્રેયાબેનની ઉંમરની સખીઓ કહે છે કે આ સુખના ચાળા કહેવાય , બસ કર હવે !!